આજથી બરાબર 15 વર્ષ પહેલાં 24 ડિસેમ્બર, 1999ના દિવસે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ 814 (IC 814)નું અપહરણ થઈ ગયું હતું. આ ફ્લાઇટ કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે શિડ્યુલ હતી અને એનું હરકત-અલ-મુજાહિદ્દીન નામના પાકિસ્તાની આતંકવાદી સંગઠને અપહરણ કરી લીધું હતું.
આ IC 814 ભારતની સીમામાં દાખલ થયું કે ગણતરીની સેકંડોમાં એનું અપહરણ થયું હતું. હાઇજેકર્સે આ પ્લેનને અમૃતસર, લાહોર અને દુબઈમાં ફેરવ્યા પછી આખરે અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરાવ્યું હતું. આ સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ પ્રવર્તતું હતું. અપહરણકર્તાઓએ પ્લેનને કંદહારમાં લેન્ડ કરાવતા પહેલાં 176 પેસેન્જર્સમાંથી 27 પેસેન્જર્સને દુબઈમાં છોડી દીધા હતા પણ એક વ્યક્તિ રૂપેન કટિયાલની હત્યા કરી હતી અને અનેક લોકોને ઇજા પહોંચાડી હતી.
આ પ્લેન હાઇજેકિંગ પાછળનો ઇરાદો ભારતની જેલમાં બંધ આતંકવાદીઓને છોડાવવાનો હતો. આ સમગ્ર પ્રકરણ સાત દિવસ સુધી ચાલ્યું હતું. આખરે ભારતે ત્રણ આતંકવાદીઓ મુસ્તાક અહેમદ ઝરગર, અહમદ ઉમર સઇદ શેખ અને મૌલાના મસુદ અઝહર જેવા આતંકવાદીઓને છોડતા તમામ અપહ્તોનો છુટકારો થયો હતો. આ આતંકવાદીઓએ પછી 9/11નો આતંકવાદી હુમલો, અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યા તેમજ મુંબઈ ટેરર અટેક જેવા આતંકવાદી ઘટનાક્રમને અંજામ આપ્યો હતો.
No comments:
Post a Comment